CBIએ NSEના પૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની શુક્રવારે ચેન્નાઈથી ધરપકડ કરી છે. સીબીઆઈએ ગયા અઠવાડિયે જ સુબ્રમણ્યમની પૂછપરછ કરી હતી. એક સ્ટોક બ્રોકરે અનિયમિતતાના આક્ષેપો કર્યા હતા, જેના સંદર્ભમાં સીબીઆઈએ આનંદ સુબ્રમણ્યમની પૂછપરછ કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સુબ્રમણ્યમની ત્રણ દિવસ સુધી ચેન્નાઈમાં સીબીઆઈ અધિકારીઓએ પૂછપરછ કરી. આ દરમિયાન, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેમને NSEના ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર પર નિમણૂક કેવી રીતે મળી. આ સિવાય તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણ સાથેના તેમના જોડાણ અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી.
તાજેતરના સેબીના અહેવાલમાં NSEના શાસનમાં ક્ષતિઓ દર્શાવ્યા બાદ સુબ્રમણ્યમ કેસની તપાસ વિસ્તૃત કરવામાં આવી હતી. સીબીઆઈએ 11 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા સેબીના અહેવાલમાંથી બહાર આવેલા કેટલાક “નવા તથ્યો”ના સંદર્ભમાં એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા અને રવિ નારાયણની પણ પૂછપરછ કરી હતી.
સેબીએ તેના અહેવાલમાં કહ્યું હતું કે ચિત્રા કેટલાક રહસ્યમય યોગીની સલાહ પર નિર્ણય લેતી હતી અને તેના કહેવા પર સુબ્રમણ્યમને તેના સલાહકાર અને ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર પણ બનાવ્યા હતા. આને વ્યાપારનું ગંભીર ઉલ્લંઘન માનીને ચિત્રા પર 3 કરોડ રૂપિયા અને સુબ્રમણ્યમ પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.