રશિયા સાથેના યુધ્ધ માટે અમને – ‘એકલા છોડી દીધા’, યુધ્ધના પહેલા દિવસે 137 મૃત્યુ : યુક્રેન રાષ્ટ્રપતિ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના જણાવ્યા અનુસાર, રશિયન હુમલાના પહેલા દિવસે 137 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝેલેન્સકીએ એક વીડિયો એડ્રેસમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આજે આપણે આપણા 137 નાયકો, આપણા નાગરિકો ગુમાવ્યા છે. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. આ સિવાય તેણે આ યુદ્ધમાં કોઈનું સમર્થન ન મળવાની વાત પણ કરી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે તેમનો દેશ રશિયા સામે લડી રહ્યો છે. તેમણે કહ્યું, “આપણી સાથે લડવા કોણ ઊભું છે? મને કોઈ દેખાતું નથી. યુક્રેન નાટોના સભ્યપદની ખાતરી આપવા કોણ તૈયાર છે? બધા ડરે છે.”
રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતાના વીડિયો સંદેશમાં રાજધાની કિવમાં રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે રશિયનોના જૂથો રાજધાની કિવમાં પ્રવેશ્યા. આવી સ્થિતિમાં શહેરના નાગરિકોએ સતર્ક થઈને કર્ફ્યુનું પાલન કરવું જોઈએ. આ સિવાય રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાના ટાર્ગેટ નંબર વન હોવા છતાં તેઓ અને તેમનો પરિવાર યુક્રેનમાં જ રહેશે.
આપને જણાવી દઈએ કે રશિયાએ દાવો કર્યો છે કે તેણે હુમલાના પહેલા દિવસે યુક્રેનમાં 70 થી વધુ સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. આ હુમલાને કારણે યુક્રેનના લોકોને તેમના ઘર છોડીને બીજી જગ્યાએ જવાની ફરજ પડી રહી છે. વાસ્તવમાં ગઈકાલે રશિયાએ તેની સંપૂર્ણ સૈન્ય શક્તિ સાથે યુક્રેન પર હુમલો કર્યો હતો. બ્રિટન (યુકે) અને અમેરિકા (યુએસ) સહિત ઘણા દેશોએ આ હુમલાની નિંદા કરી હતી અને તેના ગંભીર પરિણામોની ચેતવણી પણ આપી હતી. પરંતુ હુમલા માટે આંતરરાષ્ટ્રીય નિંદા અને પ્રતિબંધોને અવગણીને, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસ ના કરે, જો કોઇ દખલઅંદાજી કરશે તો કદી ના જોયા હોય તેવા પરિણામો તેમણે ભોગવવા તૈયાર રહેવુ પડશે. પુતિને આ ચેતવણી સીધી નાટો અને અમેરિકાને આપી છે.