કેન્દ્ર સરકારે શનિવારે આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા કુમાર વિશ્વાસને ‘Y’ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે કુમાર વિશ્વાસે AAP કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપો લગાવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે, કેન્દ્રએ કુમાર વિશ્વાસની સુરક્ષા અને તેમના માટે સંભવિત જોખમોની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે કુમાર વિશ્વાસને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ‘વાય’ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કુમાર વિશ્વાસને પૂરી પાડવામાં આવતી ‘વાય’ શ્રેણીની સુરક્ષાના ભાગરૂપે, ચાર અંગત સુરક્ષા અધિકારીઓ દરેક સમયે સુરક્ષામાં રહેશે. કુમાર વિશ્વાસે પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર અલગતાવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે કેજરીવાલે આ આરોપોને નકારી કાઢ્યા છે. પંજાબમાં રવિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.
જો કે, કેજરીવાલે આ આરોપોનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કદાચ તે વિશ્વનો સૌથી સ્વીટ આતંકવાદી હશે, જે શાળાઓ અને હોસ્પિટલો બનાવે છે. તેમણે કહ્યું હતું કે પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત જોઈને ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ તેમની સામે એક થઈ ગઈ છે.
પંજાબની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે અકાલી દળ બસપા સાથે ગઠબંધન કરીને મેદાનમાં છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી સાથે જોડાણ કર્યું છે.