વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 7 લોક કલ્યાણ માર્ગ પર અફઘાનિસ્તાનના શીખ-હિંદુ પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા. તેમણે વડાપ્રધાનનું સન્માન કર્યું અને અફઘાનિસ્તાનમાંથી શીખો અને હિન્દુઓને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ તેમનો આભાર માન્યો હતો.
PM એ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેઓ મહેમાન નથી પરંતુ તેમના ઘરે છે, ભારત તેમનું ઘર છે. તેમણે અફઘાનિસ્તાનમાં તેમની સામે આવી રહેલી ભારે મુશ્કેલીઓ અને તેમને સુરક્ષિત રીતે ભારત લાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ વિશે વાત કરી હતી.
આ દરમિયાન, તેમણે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના મહત્વ અને સમુદાય માટે તેના ફાયદા વિશે પણ વાત કરી. તેમણે ભવિષ્યમાં પણ તેમને પડતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓના નિરાકરણ માટે સતત સહયોગની ખાતરી આપી હતી.
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ ગુરુ ગ્રંથ સાહિબના સન્માનની પરંપરાના મહત્વ વિશે વાત કરી, જેના પ્રકાશમાં અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને પરત લાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે વર્ષોથી અફઘાન લોકો તરફથી મળેલા અપાર પ્રેમ વિશે વાત કરી અને કાબુલની તેમની મુલાકાતને યાદ કરી હતી.
આ બેઠક માટે આવેલા પ્રતિનિધિ મંડળે પીએમ મોદીને અફઘાન પાઘડી પણ પહેરાવી હતી. પીએમ મોદીએ પોતે આ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ અને શીખ શરણાર્થીઓ સાથેની વાતચીતની ઝલક.