સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ
કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
નોંધનીય છે કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 10.50 કરોડની જોગવાઈ કરવામા આવી છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસોમાં ઘટાડા બાદ સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થવા માટે જઈ રહ્યું છે. બે દિવસ પહેલા ગુરુવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આગામી સોમવારથી શાળા-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તેમણે જણાવ્યું હતું કે, છેલ્લો એક મહિનો બાકી છે ત્યારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે એ ગુજરાત રાજ્યમાં શિક્ષણની આ કમનસીબી. ટેટ અને ટાટ પાસ થયેલા 47 હજાર જેટલા ઉમેદવારો શિક્ષક ભરતી માટેની રાહ જોઈ રહ્યા છે.. કોંગ્રેસ દ્વારા અને શિક્ષકો દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી પણ નિર્ણય ન લેવાયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં રાજ્ય સરકારે ખાતરી આપી પણ સરકાર પોતાના વચનથી ફરી ગઈ છે. શિક્ષણમાં પણ રાજ્ય સરકાર પૂર્ણ શિક્ષણ આપવાને બદલે પ્રવાસી શિક્ષકોની ભરતી કેમ કરી રહી છે ? શિક્ષકો માટેની રાજ્યમાં 20 હજાર જેટલી જગ્યાઓ ખાલી, કોંગ્રેસના આક્ષેપને સરકાર માનવા તૈયાર નહોતી. આજે થયેલી 10 હજાર પ્રવાસી શિક્ષક ની ભરતી બતાવે છે કે સરકારની મનશા શું છે?