સતત બે દિવસ સુધી ઘટાડાનો સામનો કર્યા બાદ શુક્રવારે ભારતીય શેરબજાર દબાણ હેઠળ રહેશે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને વિશ્વભરના રોકાણકારોને તેનો માર સહન કરવો પડશે.
સેન્સેક્સ 17 ફેબ્રુઆરીએ સતત બીજા દિવસે 105 પોઈન્ટ ઘટીને 57,892 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ ઘટીને 17,305 પર બંધ થયો હતો. અમેરિકાએ ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. આ પછી, ગુરુવારે યુએસ શેરબજારમાં મોટો ઘટાડો થયો, જેની અસર એશિયા અને યુરોપિયન બજારો પર પણ થઈ. શુક્રવારે પણ ઘણા પરિબળો બજારને અસર કરી શકે છે.
અમેરિકી શેરબજારના હાલ
રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવની સૌથી વધુ અસર અમેરિકી શેરબજાર પર જોવા મળી રહી છે. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ગુરુવારે 622.24 તૂટ્યો અને 34,312.03 ના સ્તરે બંધ થયો. એ જ રીતે S&P 500 પણ 94.75 પોઈન્ટના ઘટાડા સાથે 4,380.26 પર બંધ રહ્યો હતો. મુખ્ય સ્ટોક એક્સચેન્જ Nasdaq Composite પર પણ 407.38 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
યુરોપ અને એશિયાના માર્કેટમાં ઘટાડો
ગુરુવારે ફ્રાન્સ, જર્મની સહિત યુરોપિયન બજારો પણ ઘટાડા સાથે બંધ થયા હતા. લંડનના સ્ટોક એક્સચેન્જમાં FTSE પર 0.87 ટકા, ફ્રાન્સના CAC પર 0.26 ટકા અને જર્મનીના DAX પર 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય 18 ફેબ્રુઆરીએ ખુલતા એશિયન બજારોમાં ઘટાડાનું વાતાવરણ હતું. સિંગાપોર, જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારો સવારે લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા.
વિદેશી રોકાણકારોની ઉદાસીનતા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય મૂડીબજારમાંથી તેમના નાણાં ઉપાડવાનું ચાલુ રાખ્યું છે. ગુરુવારે પણ FIIએ રૂ. 1,242.10 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અમુક અંશે આ અછતને પૂરી કરી અને રૂ. 901.10 કરોડની ચોખ્ખી ખરીદી કરી. વિદેશી રોકાણકારોની ઉદાસીનતાને કારણે બજાર પર દબાણ સતત વધી રહ્યું છે.