વિજળી સંકટ અને અંધારપટનો સામનો કરી રહેલા શ્રીલંકાને બુધવારે તાત્કાલિક રાહત મળી છે. ભારતે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાને ઇંધણ ખરીદી માટે ફાઇનાન્સ કરવા માટે $500 મિલિયનની લોન આપવાની જાહેરાત કરી હતી.
આર્થિક સંકટને કારણે, શ્રીલંકામાં થર્મલ પાવર જનરેટર યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી, જેના કારણે વીજ કટોકટી સર્જાય છે અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક ખોરવાય છે. કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં વારંવાર ભંગાણને કારણે લોકોને અઘોષિત વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બે અઠવાડિયાની વાતચીત બાદ બુધવારે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અગાઉ, તાજેતરમાં ભારતે શ્રીલંકાને $915 મિલિયનની વિદેશી હૂંડિયામણ સહાય આપી હતી.
એક ભારતીય રાજદ્વારીએ જણાવ્યું હતું કે આવશ્યક ખાદ્ય ચીજો અને દવાઓની તાત્કાલિક આયાત માટે ભારત સાથે 1 બિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ પર વાતચીત ચાલી રહી છે.
અધિકારીએ કહ્યું, “આ $500 મિલિયન શ્રીલંકાને ભારતીય સપ્લાયર્સ પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવા માટે આપવામાં આવ્યા છે.”
શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ચોખા, વાહનના ભાગો અને સિમેન્ટની પણ અછત છે. ખાદ્ય સામગ્રીની પણ અછત છે. આ અછતને કારણે ખાદ્યપદાર્થોનો ફુગાવો ગયા મહિને રેકોર્ડ 25 ટકા પર પહોંચી ગયો છે.