એરલાઈન કંપની એર ઈન્ડિયાની કમાન સંપૂર્ણપણે ટાટા ગ્રુપને સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, ટાટા ગ્રુપે મુસાફરોની સુવિધા માટે એર ઈન્ડિયામાં તેનું પ્રથમ પગલું શરૂ કર્યું છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપ ગુરુવારે મુંબઈથી ચાલતી ચાર ફ્લાઈટ્સ પર “અદ્યતન ભોજન સેવા” રજૂ કરીને એર ઈન્ડિયામાં પ્રથમ પ્રવેશ કરશે. જોકે, અધિકારીઓએ કહ્યું કે ગુરુવારથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા જૂથના બેનર હેઠળ ઉડશે નહીં.
આ પહેલા બુધવારે અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુરુવારે એરલાઈન એર ઈન્ડિયાને ટાટા જૂથને સોંપી શકે છે. લગભગ 69 વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી ટાટા ગ્રુપને સોંપવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુરુવારથી ચાર ફ્લાઈટ્સ – AI864 (મુંબઈ-દિલ્હી), AI687 (મુંબઈ-દિલ્હી), AI945 (મુંબઈ-અબુ ધાબી) અને AI639 (મુંબઈ-બેંગલુરુ)માં “અદ્યતન ભોજન સેવા” પ્રદાન કરવામાં આવશે. જો કે, સંપાદનની સમગ્ર પ્રક્રિયા ગુરુવાર બાદ પૂર્ણ કરવામાં આવશે.
સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે ટેલેસ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં એર ઈન્ડિયા વેચી હતી. તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીની પેટાકંપની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કયા દિવસથી એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ “ટાટા જૂથના બેનર હેઠળ અથવા તેના નેજા હેઠળ” ઉડશે, તે પછીથી કર્મચારીઓને જાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે “અદ્યતન ભોજન સેવા” હેઠળ શુક્રવારથી મુંબઈ-નેવાર્ક ફ્લાઇટ અને પાંચ મુંબઈ-દિલ્હી ફ્લાઇટમાં ભોજન પીરસવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપના એક્ઝિક્યુટિવ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘અદ્યતન ભોજન સેવા’ તબક્કાવાર રીતે વધુ ફ્લાઇટ્સમાં શરૂ કરવામાં આવશે.