મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પ્રભાસ પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું અને તિરંગાને સલામી આપી સમગ્ર રાજ્યના નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કોરોનાને કારણે આ કાર્યક્રમ ટૂંકાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત 42 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ પરેડમાં ભાગ લીધો હતો. ચુસ્ત રીતે કોરોના ગાઈડલાઈનના અમલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2022ના વિજેતા અન્વી ઝાંઝરૂકિયા અને કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા અને વ્યક્તિનું સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ જિલ્લામાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બાદ પ્રભાસ-પાટણમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળા અને ચંદનવનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગૌશાળા ચંદન વન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને બોરસલ્લીની કલમનું સોમનાથ ગૌશાળા ખાતે રોપણ કરવામાં આવ્યું હતું.