પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ પુરસ્કાર ઠુકરાવી દીધો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું હોવાની કોઈ પણ માહિતી આપી નથી. પીટીઆઈએ બુદ્ધદેવને ટાંકીને કહ્યું કે જો ખરેખર તેમણે મને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરી હોય તો હું તેને નકારુ છુ. ઉલ્લેખનીય છે કે પદ્મ પુરસ્કારોની યાદીમાં વિપક્ષી નેતા બુદ્ધદેવની સાથે ગુલામ નબી આઝાદનું નામ પણ સામેલ છે. આ સાથે યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને પણ મરણોત્તર પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી અને સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ મંગળવારે પદ્મ ભૂષણ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. CPI(M)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભટ્ટાચાર્ય અને પાર્ટીનો નિર્ણય છે. યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ કલ્યાણ સિંહ અને હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનેલા ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને મંગળવારે મરણોત્તર પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. બુદ્ધદેવ 2000 થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. તેઓ જાદવપુર વિધાનસભા ક્ષેત્રમાંથી સતત 24 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ CPI(M)ની સર્વોચ્ચ નીતિ સંસ્થા પોલિટબ્યુરોના સભ્ય પણ રહી ચૂક્યા છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત પહેલા તેઓ બંગાળના મુખ્યમંત્રી હતા. જોકે, સિંગુર અને નંદીગ્રામ જેવા આંદોલનોને કારણે તેમને સત્તા ગુમાવવી પડી હતી. તે જ સમયે, બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પદ્મ ભૂષણ પુરસ્કારને નકારવાને લઈને કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશનું ટ્વીટ પણ ચર્ચામાં આવ્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'સાચું કામ કર્યું, તે આઝાદ રહેવા માંગે છે ગુલામ નહીં '
દેશના સર્વોચ્ચ સન્માનને ઠુકરાવવાનું કારણ હજી સામે આવ્યું નથી પણ આ સમાચાર સામે આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે.
×