કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, છેલ્લા ત્રણ વર્ષથી સતત આ સંક્રમણને કારણે સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. અનેક ક્ષેત્રો પણ કોરોનાને કારણે પ્રભાવિત થયા છે. પહેલી લહેર, બીજી લહેર અને હવે સંભવિત ત્રીજી લહેરને કારણે આ મહામારી લોકોના જીવનને બધી જ રીતે પ્રભાવિત કરી રહી છે.
પહેલી લહેર વખતે સમગ્ર દેશમાં લોકડાઇન લાગુ કરવામાં આવ્યું હતુ અને કોરોનાના સંક્રમણને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયની મુશ્કેલ સ્થિતિને દેશવાસીઓ હજી પણ ભુલી શક્યા નથી.
બીજી લહેર વખતે જે રીતે સતત સંક્રમણ ફેલાયુ હતુ અને આરોગ્યની સુવિધાઓની જે હાલતનો આપણે સામનો કર્યો એ પણ ક્યાં કોઇ ભુલી શકવાનું છે. સતત હોસ્પિટલ્સમાં બેડની અછત, સ્મશાનગૃહોમાં સતત અવિરત સળગતી ચિતાઓ, ઓક્સિજન કે રેમડેસિવર માટે કરાતી દોડાદોડ અને પોતાના સ્વજનોને બચાવવા માટે વલખા મારતી લાચારી હજુ તાજી જ છે ને !
હવે સંભવિત ત્રીજી લહેરની ભિતી વચ્ચે આપણે ઝઝુમી રહ્યા છીએ. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે અને માંડ શાંત પડેલી પરિસ્થિતિ આપણે ફરી વિકટ બનતી જોઇ રહ્યા છીએ. દરરોજ કોરોનાના જે આંકડા સામે આવે છે તના કારણે તંત્ર સહિત જનતાની ચિંતામાં પણ વધારો જ થઇ રહ્યો છે.
જોકે કોરોનાની અને તેજ ગતિએ વધતા સંક્રમણની ગંભીરતા જાણે જનતા હજી સમજી નથી. લોકો ઉત્સવો બેફીકર થઇને ઉજવી રહ્યા છે, મેળાવડા કરી રહ્યા છે અને બજારોમાં પણ નિશ્ચિંત થઇને ફરી રહ્યા છે. કદાચ આ નફીકરાઇ જ આપણને ભારે પણ પડી રહી છે. સતત વધી રહ્યું છે સંક્રમણ અને શહેરોમાં વધી રહ્યા છે કન્ટેન્ટમેન્ટ ઝોન.
એવામાં તંત્ર દ્રારા અનેક પ્રયાસો પણ કરાઇ રહ્યા છે કે જેથી લોકો ભીડ ના કરે અને એક જગ્યા પર મોટી સંખ્યામાં એકત્રિત ના થાય. તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એક જગ્યા પર ભીડ એકઠી ના કરવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઈ રૂ 5થી રૂ.10થી વધારીને રૂ.30 કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18 જાન્યુઆરી 2022થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઈ રૂ. 5થી રૂ. 10થી વધારીને રૂ. 30 કરવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરે.
તાજેતરમાં જ ગુજરાતના આ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવો પણ વધ્યા
કોરોના મહામારી વકરતા રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મ પર મુસાફરોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં તાત્કાલિક અસરથી વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ. 30 અને આણંદ, નડિયાદ, છાયાપુરી, ગોધરા, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પર રૂ. 20 અને અન્ય સ્ટેશનો પર રૂ. 10 કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સંક્રમણ ઘટતા ટિકિટ દર ઘટાડીને 10 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો.