આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી. પંજાબમાં મુખ્યમંત્રી ફેસ તરીકે ભગવંત માન હશે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી હતી. ભગવંત માન AAPના પંજાબ યુનિટના વડા તેમજ સંગરુર લોકસભા બેઠક પરથી AAPના સાંસદ છે.
કેજરીવાલે ગયા અઠવાડિયે એક મોબાઈલ નંબર જારી કરીને પંજાબના લોકોને મુખ્યમંત્રી પદ માટે તેમના મનપસંદ ઉમેદવારનું નામ આપવાની અપીલ કરી હતી. કેજરીવાલે આજે પત્રકારોને જણાવ્યું કે ભગવંત માનને ફોન અને વોટ્સએપ દ્વારા 93 ટકાથી વધુ વોટ મળ્યા છે.
કેજરીવાલે કહ્યું કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધના નામ પર ત્રણ ટકા વોટ આવ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક મત મારા પક્ષમાં પણ આવ્યા છે, જેને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા છે.
AAP કન્વીનર કેજરીવાલે કહ્યું, “એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી પંજાબની ચૂંટણી જીતશે. એક રીતે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવેલ વ્યક્તિ પંજાબના આગામી મુખ્યમંત્રી હશે.”
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે કોઈ પાર્ટીના સીએમ ઉમેદવાર કોણ છે, તેને લોકોએ પસંદ કર્યું છે. આ અભિયાનમાં 21 લાખથી વધુ લોકો જોડાયા છે અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
કોણ છે ભગવંત માન?
– કોમેડિયન તરીકે જાણીતા
– 2012: મનપ્રીત બાદલની પીપીપીમાં જોડાયા
– 2012: લેહરા વિધાનસભા બેઠક પરથી હાર્યા
– 2014: આમ આદમી પાર્ટીમાં જોડાયા
– 2014: સંગરુર લોકસભા બેઠક પરથી જીત્યા
– 2017: જલાલાબાદથી વિધાનસભાની ચૂંટણી લડી
– 2017: સુખબીર બાદલ પાસેથી વિધાનસભા ચૂંટણી હારી
– 2019: સંગરુરથી ફરીથી લોકસભા ચૂંટણી જીતી
એમપીની સાથે પંજાબના પ્રદેશ પ્રમુખ