ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની થઇ ચુકી છે અને ઉત્તરપ્રદેશમાં રાજકીય હલચલ પણ તેજ જોવા મળી રહી છે. મંગળવારે સ્વામી પ્રસાદ મૌર્યએ કેબીનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ સ્વામી પ્રસાદ મૌર્યએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો અને સમાજવાદી પાર્ટીની સાયકલ પર સવાર થઇ ગયા છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ મળ્યા છે અને તેઓ સપામાં જોડાઈ ગયા છે. તેમની સાથે તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો પણ ભાજપ છોડીને સપામાં જોડાઈ શકે છે. ટિકિટ વહેંચણીને લઈને તેમનો ભાજપ સાથે વિવાદ ચાલી રહ્યો છે.
મારી કોઈની સાથે અંગત દુશ્મની નથી
સ્વામી પ્રસાદ મૌર્યએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી કોઈની સાથે અંગત દુશ્મની નથી. મેં સામાજિક ન્યાય માટે સતત લડત આપી છે. હું આમ કરવાનું ચાલુ રાખીશ. જ્યાં પણ હું સામાજિક ન્યાયની અનુભૂતિ થતી જોઉં છું, હું ત્યાં હાજર રહીશ.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને પોતાનું રાજીનામું તેમણે મોકલ્યું હતુ. રાજભવનને રાજીનામું મોકલ્યા બાદ સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના, નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ પ્રત્યે ઘોર ઉપેક્ષિત વલણને કારણે હું ઉત્તર પ્રદેશની યોગી કેબિનેટમાંથી રાજીનામું આપું છું.
અખિલેશે મૌર્યનું સ્વાગત કરતા ટ્વિટ કર્યું
સ્વામી પ્રસાદ મૌર્યને મળ્યા બાદ ફોટો જાહેર કરતાં અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, ‘સામાજિક ન્યાય અને સમાનતા માટે લડનારા લોકપ્રિય નેતા સ્વામી પ્રસાદ મૌર્યજી અને તેમની સાથે આવેલા અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનું સપામાં આદરપૂર્વક સ્વાગત છે. અને શુભેચ્છાઓ! સામાજિક ન્યાયની ક્રાંતિ થશે, બાવીસમાં પરિવર્તન આવશે.
ઓબીસી નેતા મૌર્ય જોડાયા સપા સાથે
સ્વામી પ્રસાદ મૌર્ય ઓબીસી નેતા છે અને ઓબીસી સમાજ પર પ્રભુત્વ પણ ધરાવે છે. ઉત્તપ પ્રદેશના રાજકારણના જ્ઞાતિના સમીકરણને જો જોવામાં આવે તો ઓબીસી સમાજ પણ અનેક વિસ્તારોમાં નિર્ણાયક ભૂમિકામાં છે અને મૌર્યની તેના પર પકડ પણ છે. એક તરફ ચૂંટણી અને બીજી તરફ મૌર્યનું રાજીનામું શું આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીઓ સર્જશે ?
આ સાથે જ મૌર્યની સાથે સાથે અન્ય ૩ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. તેમાં બાંદા જિલ્લાના તિંવારી વિધાનસભાના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ, શાહજહાંપુરની તિલહર બેઠકના ધારાસભ્ય રાશનલાલ વર્મા અને કાવપુરના બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગરે પણ રાજીનામું ધરી દીધુ છે.
આમ વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ આયારામ ગયારામની સ્થિતી ઉત્તરપ્રદેશમાં જોવા મળી રહી છે.