વડોદરાનો સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સમગ્ર મામલો 6 જાન્યુઆરી ગુરૂવારનો છે. સમગ્ર મામલો આપને જણાવીએ તો સોખડા હરિધામ મંદિર ખાતે મહિલાઓનો વિડિયો ઉતારવાના આક્ષેપ સાથે એક યુવકને માર મારવામાં આવ્યો છે. ચાર સંતોએ એક સેવકને ઢોર માર માર્યો હતો. ત્યારે અનુજ ચૌહાણ નામનો આ યુવકે 4 સંતો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ સમગ્ર ઘટના ગેરસમજથી ઉભી થઈ હોવાનું ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું. બીજી તરફ હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ અને પ્રબોધજીવનસ્વામી જુથમાં વહેચાઈ ગયું હોવાથી, પ્રેમસ્વરૂપ સ્વામી જુથના સંતોએ પ્રબોધજીવન સ્વામી જુથના સેવકને ખોટા આરોપ મૂકી મારમાર્યો હોવાનો આક્ષેપ સેવકના પરિવારે લગાવ્યો છે.
જૂથવાદનો આક્ષેપ
અનુજ ચૌહાણે જણાવ્યું હતું કે તે 5 વર્ષથી હરીધામ સોખડા સાથે સંકળાયેલા છે અને 7 મહિનાથી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં સેવા આપે છે. ગુરૂવારે તે ઓફિસમાં હતા ત્યારે બહેનોના હોબાળાને કારણે ઓફિસમાંથી બહાર આવ્યા હતા ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના 4 સંતો પ્રભુપ્રીય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી અને હરિસ્મરણ સ્વામી બહાર ઉભા હતાં. જેમાંથી સંતોએ અંદર જાઓ તેમ કહેતા હું અને બીજા સેવકો ઓફિસની અંદર જતા હતાં. મારો એક હાથ ખિસ્સામાં હતો. જે જોઈને પ્રભુપ્રિય સ્વામીએ મને રોકી ‘કેમ વિડિયો ઉતારે છે’ તેમ કહી ખખડાવ્યો હતો.’
વધુમાં અનુજ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘મોબાઈલ ચેક કરવા જણાવતા મે મારો મોબાઈલ મારા હાથમાંથી જ બતાવ્યો હતો. ચારેય સંતોએ મારો મોબાઈલ ઝુંટાવવા પ્રયત્ન કર્યો હતો. પ્રભુપ્રીય સ્વામીએ મારી બોચી પકડી અને બીજા ત્રણ સંતો અને સોખડા ગામના મનહરભાઈ પટેલે મને ઢોરમાર માર્યો હતો. જેમ તેમ કરીને હું સંતોના મારથી બચી એકાઉન્ટ ઓફિસમાં જતો રહ્યો હતો. પરંતુ સંતોએ મારો મોબાઈલ છીનવી લીધો હતો.’
ગેરસમજણમાં સર્જાઇ ઘટના ?
ત્યાગવલ્લભ સ્વામીએ ખુલાસો આપતા જણાવ્યું કે આખી ઘટના ગેરસમજને કારણે સર્જાઇ હતી. અનુજ નામનો આ સેવક હરિધામ મંદિરમાં સેવા આપતો હતો. આ સેવક દર્શનાર્થીઓનો વીડિયો ઉતારતો હોય તેવી ગેરસમજ દુર ઉભેલા સંતોને થતા તેમણે ચેક કરવા માટે અનુજનો મોબાઇલ માંગ્યો હતો. અનુજે મોબાઇલ આપવાનો ઇન્કાર કરતા સમગ્ર મામલો સર્જાયો હતો.
હરિપ્રસાદ બ્રહ્મલીન થયા બાદ જૂથવાદ વધ્યો
અનુજ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, હરીપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા ત્યાર બાદથી વાતાવરણ ડહોળાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામી જુથના પ્રબોધસ્વામી જુથના સેવકોને મારવાની ધમકીઓ આપતા હતાં. જેથી અનેક સેવકો મંદિર છોડી ગયા છે. અનુજ ચૌહાણે જણાવ્યું કે,મારી સામેનો આરોપ પાયાવિહોણો છે. મંદિર સીસીટીવી કેમેરાથી સજજ છે, ફુટેજ ચેક કરવામાં આવે મેં કાઈ ખોટું કર્યું નથી. સંતોની ભુલ પકડાય એટલે મારા પર ખોટા આરોપ લગાવી રહ્યાં છે. મારા અને પરીવાર પર જીવનું જોખમ છે. હું પોલીસ ફરીયાદ કરીશ.