રાજ્યમાં કોરાનાનું સંક્રમણમાં સતત વધારો થતા રાજ્ય સરકારે 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનાર 10 મી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધાની જાહેરાત કરવામાં આવી. આ નિર્ણયની જાહેરાતની સાથે જ સવાલ ફ્લાવર શો અને પતંગોત્સવને લઇને પણ સવાલો ઉઠવા પામ્યા હતા. પરંતુ ગણતરીની મિનીટોમાં તેને લઇને પણ જાહેરાત તંત્ર દ્રારા કરી દેવામાં આવી. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું જે આયોજન હતુ તેને પણ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાથે જ આતંરરાષ્ટ્રીય પતંગોત્સવને પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ બન્ને કાર્યક્રમોમાં પણ મોટી ભીડ એકઠી થતી હોય છે તેવામાં આ નિર્ણય જનતાના હિતમાં કરવામાં આવ્યો છે.
સંત સંમેલન સુપર સ્પ્રેડરઃ
અમદાવાદમાં 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. આ સંમેલનમાં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા અને તેમાંથી ભાજપના 40 નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હવે આ સંમેલન આગળ કેટલું ઘાતક પુરવાર થશે તે તો આવનારો સમય જ સ્પષ્ટ કરશે.
સંત સંમેલનમાં પણ લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.
આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી 50થી 100 લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ્ના ધજાગરા ઉડાવતા હોય એમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા.
CM-CRએ સંતોને ભોજન પીરસ્યું હતું :
આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
હવે લેવાયેલા નિર્ણય ઘાતકતા અટકાવશે ?
મોટી મોટી રાજકીય રેલીઓ યોજાઇ ગઇ, ભીડ એકત્રિત કરીને તમામ તાયફા કરી દેવામાં આવ્યા. સંમેલનો યોજાઇ ગયા અને તેમાં હજારો લોકોને ભેગા કરી દેવાયા. કોરોના જાણે કે વિદાઇ લઇ ચુક્યો હોય તેવું બેફિકરાઇથી વર્તન તો કરી દેવામાં આવ્યું અને હવે રહી રહીને પણ આ સમિટ કે પતંગોત્સવ રદ કરવાનો નિર્ણય તો કરી લીધો પણ બીજા મેળાવડા પણ જો પ્રતિબંધીત કરવામાં આવે તો કદાચ આ વધતા સંક્રમણથી રાહત મળી શકે છે.