ટીમ ઇંડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને ત્રણ ટેસ્ટની સિરીઝની બીજી મેચ સોમવારે રમાવાની છે. આ પ્રવાસના પહેલા ભારતીય ટીમમાં કેપ્ટનશીપને લઇને ઘણી ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. વનડે અને ટી20 ની કેપ્ટનશીપની કમાન વિરાટ કોહલી પાસેથી લઇને રોહિત શર્માને સોંપી દેવામાં આવી છે. આના પછી ખબરો સામે આવી હતી કે નવા કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી વચ્ચે પણ સરખો તાલમેલ નથી બેસી રહ્યો, પણ દ્રવિડે સળંગ બીજી વાર કોહલીના વખાણ કરીને આ વાતને ખોટી ઠેરવી દીધી છે.બીજી ટેસ્ચના પહેલા કોચ રાહુલ દ્રવિડે મીડિયા સાથેની વાતચીતમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપના ભરપૂર વખાણ કર્યા અને કોહલીને ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટ લીડર પણ કહ્યા. સાથે જ તેમણે કોહલીના કામના પણ વખાણ કર્યા હતા.
વિરાટ ક્યારે કરશે શતક ?
રાહુલ દ્રવિડને કોહલીના મોટા ક્રિકેટ સ્કોર અને ક્રિકેટમાં સદીને લઇને સવાલ કરવામાં આવ્યો ત્યારે દ્રવિડે કહ્યું કે, મને લાગે છે કે મોટો સ્કોર જલ્દી જ બનવાનો છે. કોહલી સતત શાનદાર રીતે પ્રેક્ટીસ કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે પહેલી ટેસ્ટ મેચમાં પણ વિરાટ કોહલી સારી શરૂઆત પછી મોટો સ્કોર નહોતા બનાવી શક્યા. કોહલીએ છેલ્લી સદી 2019માં મારી હતી.
મેદાનની અંદર હોય કે બહાર, વિરાટ બેસ્ટ લીડર
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોહલીના વખાણ કરતા દ્રવિડે કહ્યું કે વિરાટ કોહલી શાનદાર લીડર છે. મેદાનની અંદર હોય કે બહાર, તેઓ એક લીડર તરીકે શાનદાર કામ કરે છે. અમે આશા રાખી રહ્યા છીએ કે વિરાટ આગળ પણ શાનદાર રમત રમે.
સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાની તક
ટીમ ઇંડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે સીરીઝની પહેલી ટેસ્ટ સેંચુરિયનમાં રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે 113 રનથી શાનદાર જીત મેળવીને સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગયા છે. ભારતીય ટીમ પાસે હવે બીજી મેચ જીતીને સાઉથ આફ્રિકામાં પહેલી ટેસ્ટ સીરીઝ જીતવાનો મોકો છે. ટીમ ઇંડિયામાં સાઉથ આફ્રિકામાં આ આઠમી દ્રીપક્ષીય ટેસ્ટ સીરીઝ છે. જેમાં આના પહેલા 7 માં થી 6 સીરીઝમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કે એક સીરીઝ ડ્રો રહી હતી.
કે એલ રાહુલ અને પુજારા માટે દ્રવિડે શું કહ્યું ?
રાહુલ દ્રવિડે કહ્યું કે મેં પણ મારી કારકિર્દીમાં અનેક મેચ એવી રમી છે જેમાં શરૂઆત બાદ પણ મોટો સ્કોર ન બનાવી શક્યો. બધા એવું ઇચ્છે છે કે મોટો સ્કોર બનાવી શકે, અત્યાર સુધી કે એલ રાહુલે સારુ કામ કર્યું છે. આવનારી મેચમાં બીજા ખેલાડીઓને પણ તક મળશે. જ્યારે તમે લાંબા સમય સુધી રમો છો તો આવુ થતુ હોય છે કે તમે ઉત્તમ રમો છતા મોટો સ્કોર ન બનાવી શકો.