આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આપ નેતા ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જયારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવતા શનિવારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. FSL દ્વારા કરવામાં આવતા ટેસ્ટમાં 0.0545 નું પ્રમાણ રિપોર્ટમાં સામે આવ્યું છે.
ઇસુદાન ગઢવીએ લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યા અંગે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના દરેક નેતાઓ જાણે છે કે હું દારુ પીતો નથી. આ અંગે હું મારી લીગલ ટીમને કહીશ અને તે તપાસ કરશે. હું માનહાનીનો દાવો કરીશ. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છું તેવું પણ તેમણે જણાવ્યું હતું.
આપ નેતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પાસે દરેક ટેસ્ટ કરવાના મશીનો છે. ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો? આ ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટેજ હજી કેમ બહાર આવ્યા નથી?
શું છે સમગ્ર ઘટના?
બિન-સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ AAPએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. 20 ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં AAPના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વિરોધપ્રદર્શન બાદ પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી હતી. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આપના નેતાઓ દ્વારા પેપરલીક કાંડ મુદ્દે કમલમ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 30મી ડિસેમ્બર, 2021 ના રોજ આપ નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા સહિત 53 વ્યક્તિઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.