21મી સદીમાં પ્રવેશી ગયા છતા હજુ અનેક સામાજિક દુષણો પ્રવર્તમાન જોવા મળે છે. સમાજમાં અનેક એવી બદીઓ હજી પણ જોવા મળે છે કે સમાજની વરવી વાસ્તવિકતાના દર્શન કરાવે છે. મેટ્રો શહેર કહેવાતા અમદાવાદમાં એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના મેમકો વિસ્તારમાં એક પરિણીતાએ સાસરીયાના ત્રાસથી પોતાનું જીવન ટુંકાવી દીધાની ફરિયાદ નોંધવામાં આવી છે. પરિણીતાની માતાએ આ મામલે પરિણીતાની સાસરી પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની માતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેમની દિકરીને તેમના સાસરિયાવાળા સતત દહેજને લઇને પરેશાન કરતા હતા. સાસરીવાળા દહેજમાં 10 લાખ રૂપિયાની માંગ કરતા હતા અને તેના પરિવારજનો 4 લાખ રૂપિયા આપી શક્યા હતા. આજ બાબતને લઇને પરિણીતાના સાસરીવાળા તેને સતત ત્રાસ આપતા હતા.
મૂળ ઉત્તર પ્રદેશની મહિલાના લગ્ન 2019માં મૂળ મધ્યપ્રદેશના નિવાસી અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલ યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન સમયે જ યુવક અને તેના પરિવારજનોએ 10 લાખની માંગ કરી હતી. યુવતીના પરિવારજનો 4 લાખ રૂપિયા આપી શક્યા હતા અને બાકીના પછી થોડા સમય બાદ આપવાની વાત કરી હતી. પરંતુ દહેજના લાલચુ આ પરિવારે લગ્ન બાદ જ યુવતીને ઓછા દહેજને કારણે શારીરીક અને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતુ. આ વાત યુવતીએ તેના માતા પિતાને પણ જણાવી હતી.
27 ડિસેમ્બરે બપોરે યુવતીએ તેના ભાઇને ફોન કરીને કહ્યું હતું કે તે પાછી તેના પિતાના ઘરે આવવા માંગે છે. યુવતીના ભાઇએ યુવતીના પતિની ફોન પર પુછપરછ કરતા તેણે કહ્યું હતુ કે સામાન્ય ઝઘડો છે. ત્યાર બાદ યુવતીએ તેની માતા સાથે પણ આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે આ લોકો મને પરેશાન કરી રહ્યા છે. મને પાછી લઇ જાઓ. આટલી વાતચીત થયા બાગદ ફોન કટ થઇ ગયો હતો.
બીજા દિવસે સવારે યુવતીના સાસરેથી ફોન આવ્યો હતો અને તેમાં તેઓએ જણાવ્યું હતુ કે તમારી બહેને ફાંસી લગાવી લીધી છે તમે આવીને તેની લાશ લઇ જાઓ. આ સાંભળતા જ પરિવાર પર આભ ફાટી પડ્યું. યુવતીના પરિવારજનો ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યા. તેમણે તેમની વાતચીતમાં જણાવ્યું કે દિકરીના ચહેરા પર માર માર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા. તેથી પરિવારે આ મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં યુવતીના પતિ સહિત સાસરિયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર મામલામાં ક્યારે અને કેવી રીતે કાર્યવાહી થશે તે તો આવનારો સમય જ બતાવશે પણ આ પ્રકારના કિસ્સાઓ સમાજની અને તેમાં પણ સાંપ્રતમાં પણ મહિલાઓની સ્થીતીને વર્ણવે છે.