ઉત્તર પ્રદેશની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે, અને રાજકીય પક્ષોએ ઉત્તર પ્રદેશને કબજે કરવા માટે કવાયત પણ તેજ કરી દીધી છે. આમ પણ ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જેના માટે કહેવામાં આવે છે કે જે યુપીની જનતાના દિલ જીતી શકે તે દિલ્લીની ગાદી સુધી પહોંચી શકે. એ રીતે ઉત્તરપ્રદેશ રાજકીય રીતે ખુબ મહત્વપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે. સૌથી વધુ વસ્તી ધરાવતુ રાજ્ય અને સૌથી મોટી વિધાનસભા ધરાવતા રાજ્યને સર કરવા માટે રાજકીય પક્ષોમાં હાલ તો હોડ જામી છે. કોઇપણ પ્રદેશની ચૂંટણી હોય તેમાં ચૂંટણીને સ્પર્શતા મુદ્દાઓ કે ચૂંટણીમાં કરાતી જાહેરાતોથી પણ વધુ અસર કરે છે જે ફેક્ટર તે છે જ્ઞાતિનું સમીકરણ. મોટી વોટ બેંક, કે વધુ પ્રભાવિત કરતી વોટબેંક આ તમામ મુદ્દાઓ મહત્વપૂર્ણ ઠરતા હોય છે. ત્યારે આજે યુપીના જ્ઞાતિ સમીકરણને સમજવાનો કરીએ પ્રયાસ…
જ્ઞાતિનું સમીકરણ
ઉત્તરપ્રદેશના જ્ઞાતિના સમીકરણ પર જો નજર નાખવામાં આવે કો રાજ્યમાં સૌથી મોટી વોટ બેંક પછાત વર્ગ છે. રાજ્યમાં સવર્ણ જ્ઞાતિ 18 ટકા છે. જેમાં બ્રાહ્મણ 10 ટકા વસ્તી ધરાવે છે. પછાત વર્ગની સંખ્યા 40 ટકા છે, જેમાં યાદવ 10 ટકા, કુર્મી સેંથવાર 8 ટકા, મલ્લાહ 5 ટકા, લોધ અને જાટ 3-3 ટકા, વિશ્વકર્મા 2 ટકા, ગુર્જર 2 ટકા અને અન્ય પછાત જ્ઞાતિઓની સંખ્યા 7 ટકા છે. આ સિવાય અનુસુચિત જાતિ 22 ટકા અને મુસ્લીમ વસ્તી 18 ટકા છે.
દલિત અને સવર્ણો નક્કી કરશે દિશા
યુપીમાં 25 ટકા વોટ બેંક મુખ્ચ રૂપે દલિતોની છે. ત્યાર બાદ સવર્ણ જ્ઞાતિની વોટ બેંક જે અને ક જાતિઓમાં વહેંચાયેલી છે જે રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ છે. આમાં મુખ્યરૂપે બ્રાહ્મણ અને ઠાકુર આવે છે જેમના વોટ પર તમામ રાજકીય પક્ષોની નજર રહે છે. આ સિવાય પછાત વર્ગના વોટ પણ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એક તરફ જ્યાં દલિતોના વોટ 25 ટકા છે તો બ્રાહ્મણોના વોટ 8 ટકા છે, 5 ટકા ઠાકુર અને અન્ય સવર્ણ જ્ઞાતિ 3 ટકા છે. આમ સવર્ણ જ્ઞાતિના કુલ વોટ લગભગ 16 ટકા છે.
પછાત જ્ઞાતિ કેવી રીતે કરશે અસર
પછાત જ્ઞાતિના વોટ પર નજર નાખવામાં આવે તો, લગભગ તે વોટ 35 ટકા છે, જેમાં 13 ટકા યાદવ, 12 ટકા કુર્મી અને 10 ટકા અન્ય જાતિઓ સામેલ છે. આ તમામ જ્ઞાતિઓ પર તમામ રાજકીય પક્ષોની અલગ અલગ પકડ છે. એક તરફ જ્યાં સપાને પછાત વર્ગની પાર્ટી માનવામાં આવે છે તો બસપા દલિત વોટબેંકને પ્રભાવિત કરે છે અને ભાજપની સવર્ણો પર પકડ હોવાનું માનવામાં આવે છે.
કઇ તરફ જશે યુપીના મુસલમાન જાતીય સમીકરણો સીવાય રાજ્યમાં 18 ટકા મુસ્લીમ અને 5 ટકા જાટ વોટ પણ રાજનીતિમાં નહત્વપૂર્ણ અને નિર્ણાયક માનવામાં આવે છે, જેને હથ્થે કરવા પણ રાજકીય પક્ષો પૂરી તાકાત લગાવે છે. યુપીના મુસ્લીમો અત્યાર સુધી સપાના ટેકેદાર માનવામાં આવે છે. પરંતુ જે રીતે ઓવૈસીની પાર્ટીએ આ વિધાનસભાની ચૂંટણીમાં 403 બેઠકો પર ઝંપલાવવાનું નક્કી કર્યું છે તેણે સપાની મુશ્કેલી વધારી દીધી છે.
રાજકીય પક્ષોએ શરૂ કર્યું રાજકીય દંગલ
તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાની વોટ બેંક સીવાય બીજા વોટ તોડવાની પણ કોશિશમાં લાગી છે. તેમાં દલિત વોટ બેંકને પોતાની તરફ કરવાની કોશિશ કરી રહ્યા છે, માયાવતી દલિત વોટબેંકને પોતાની તરફી રાખવાના પ્રયાસો કરી રહ્યા છે.
સપા તેની મુસ્લીમ અને યાદવ વોટ બેંકને તુટવાથી બચાવવાના ભરસક પ્રયાસ કરી રહ્યું છે. એવા તમામ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને એવી જાહેરાતો કરવામાં આવી રહી છે જેથી મુસલમાનો બીજી રાજકીય પાર્ટીઓ તરફ ન આકર્ષાય.
કોંગ્રેસ પણ પોતાની પકડને મજબૂત કરવાના તમામ પ્રયાસોમાં લાગી છે.
ચૂંટણી કોઇપણ હોય અને કોઇપણ મુદ્દા પર ચૂંટણી કેમ ન લડાતી હોય પણ દરેક ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણની અસરને ખાળવી તો અશક્ય હોય જ છે. રાજકીય પક્ષો ભલે એમ કહે કે મુદ્દા આધારિક રાજકારણ કરવામાં આવે છે, કે માત્ર વિકાસના મુદ્દે વોટ માંગવામાં આવે છે પણ આખરે ટીકીટ ફાળવણી અને ચૂંટણી ઢંઢેરામાં જોવા મળતી જાહેરાતો એ વાતની ચાડી ખાય છે કે જ્ઞાતિના સમીકરણોને કેટલા ધ્યાને રાખવામાં આવ્યા છે. હવે ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે અને ધીરે ધીરે આ તમામ મુદ્દાઓ કેવા અસર કરશે તે પણ જોવુ રસપ્રદ રહેશે.