કોરોના મહામારીએ વિશ્વને ભરડામાં લીધી અને આ મહામારી સામે આખુ વિશ્વ ઘુંટણીયે પડ્યું. સાવ અચાનક આવેલી મહામારી અને આ બિમારીને સમજવામાં વૈજ્ઞાનિકોએ એડીચોટીનું જોર લગાવી દીધું. પ્રાથમિક તબક્કે કોરોના મહામારીને સમજવા પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે એજ વાત સમજાઇ કે કોરનાના લક્ષણોમાં શરદી, ખાંસી અને તાવ છે અને તેનું સંક્રમણ સંપર્કમાં આવવાથી ફેલાય છે. તે સમયે સતત અપીલ કરવામાં આવતી કે માસ્ક પહેરી અને સામાજીક અંતરનું પાલન કરો. શરૂઆતને તબક્કે આની કોઇ ચોક્કસ દવા નહોતી શોધાઇ તેને લઇને આજ સાવચેતી આપણા માટે કવચરૂપ સાબીત થાય તેમ હતી.
ભારતમાં કોરોનાનો પ્રવેશ અને તેના બાદ પ્રથમ લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા. કેટલાક દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા તો કેટલાક એવા પણ લોકો સંક્રમિત થયા જેઓમાં કોરોનાના લક્ષણો નહોતા જોવા મળ્યા છતા તેઓ સંક્રમિત હતા.
ભારતને મળી રસી
પ્રથમ લહેર બાદ થોડા સમયમાં આપણા વૈજ્ઞાનિકોને કોરોના સામેની લડાઇમાં મોટી જીત મળી અને આપણને રસી મળી. વેક્સીનેશન શરૂ કરાયુ પણ તેની વચ્ચે જ બીજી લહેરની ઝપેટમાં દેશ સપડાયો. બીજી લહેર વખતે જનતા ખુબ પરેશાન થઇ અને અનેક લોકો મોતને ભેટ્યા. તેની સાથે સાથે તંત્રએ વેક્સીનેશન અભિયાનને પણ ગતિ આપી. તમામ લોકો સુધી વેક્સીન પહોંચાડવા માટે કવાયત તેજ કરવામાં આવી.
તરૂણો માટે રસીકરણ
પ્રધાનમંત્રી દ્રારા જાહેરાત કરવામાં આવી અને જેની તમામ લોકો રાહ જોઇ રહ્યા હતા તે બાળકોની રસી આપવાની જાહેરાત કરવામાં આવી. 15 થી 18 વર્ષના તરૂણો હવે વેક્સિનને પાત્ર છે અને ત્રીજી જાન્યુઆરીથી તેમના માટે રસીકરણ શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં 35 લાખ તરૂણોને મળશે વેક્સિન
ગુજરાતમાં 2003થી 2006માં જન્મેલા 35 લાખ તરૂણો વેક્સિનને પાત્ર બનશે. ગુજરાતમાં 2003-2006 દરમિયાન જન્મેલાં અંદાજે 35 લાખ જેટલાં બાળકો છે, જેમને વેક્સિનને મળવાને પાત્ર છે. વેક્સિનેશન કાર્યક્રમ કેવી રીતે? ક્યાં અને કઈ વેક્સિન મળશે જેવા સવાલો ન માત્ર વાલીઓ, પરંતુ આરોગ્યક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોના મનમાં છે. મંગળવારે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને તમામ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે ખૂબ મહત્ત્વની વીડિયો-કોન્ફરન્સ યોજાશે.
15થી 18 વર્ષના તરૂણોનું વેક્સિનેશન યોજાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં બાળકોમાં એટલે કે 15 વર્ષથી લઈને 18 વર્ષ સુધીનાં બાળકોમાં વેક્સિનેશન કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલાં તરૂણો છે, જેઓ વેક્સિન મેળવવાને પાત્ર છે. આરોગ્ય વિભાગ બાળકોમાં રસીકરણ માટે સજ્જ છે. આ બાબતે મંગળવારે બપોરે વેક્સિનેશન કાર્યક્રમ અંગેની વિસ્તૃત માર્ગદર્શન સંદર્ભે બેઠક મળવાની છે, જેમાં બાળકોમાં રસીકરણ કેવી રીતે કરવું એ અંગે જાણકારી આપવામાં આવશે.