ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોવિડ-19ના ત્રીજા મોજા દરમિયાન દેશમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાવાયરસના 3 લાખ 17 હજાર 532 નવા કેસ નોંધાયા છે, જ્યારે રોગચાળાને કારણે 491 લોકો મૃત્યુ પામ્યા છે.
દેશમાં 8 મહિના પછી કોવિડ-19ના નવા કેસની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. અગાઉ, કોરોના વાયરસના બીજા વેવ દરમિયાન, 15 મે 2021ના રોજ 3.11 લાખ નવા કેસ જોવા મળ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19 મહામારીથી 2 લાખ 23 હજાર 990 લોકો સાજા થયા છે, જોકે સક્રિય કેસની સંખ્યામાં 91 હજાર 519નો વધારો થયો છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 19 લાખ 24 હજાર 51 થઈ ગઈ છે.
દેશમાં કોરોના વાયરસના નવા કેસ વધવાની સાથે જ પોઝીટીવીટી રેટ એટલે કે ચેપનો દર પણ 16 ટકાથી ઉપર ગયો છે. દેશમાં દૈનિક સંક્રમણ દર વધીને 16.41 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર વધીને 16.06 ટકા થયો છે.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ 9 હજારને પાર થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 9287 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીએ તેમાં 3.63 ટકાનો વધારો નોંધાયો છે.